શિક્ષણનો વ્યાપ વધારવા સરકારનો મહત્વનો નિર્ણય; મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓનો જિલ્લાવાસી એ આભાર માન્યો
રાજ્યમાં કુલ ૯૮ નવી સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર
સ્ટાફ અને કચેરી ખર્ચ માટે ₹૪.૪૩ કરોડની જોગવાઈ
રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રની જોગવાઈ અંતર્ગત રાજ્યમાં કુલ ૯૮ નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી શાળાઓના વર્ગો તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફના પગાર-ભથ્થાં માટે સરકારે ₹૪.૪૩ કરોડની ભારેખમ જોગવાઈને પણ મંજૂરી આપી દીધી છે.
જેમા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ અનેક નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે. સરકારના આ શૈક્ષણિક અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર મજબૂત કરવા માટે વિશેષ આયોજન કરાયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ૧૧ જેટલી નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, રિવાબા જાડેજા અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. સરકારના આ સરસ નિર્ણયથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને હવે ઘરઆંગણે જ માધ્યમિક શિક્ષણ મેળવવાની ઉત્તમ સુવિધા મળશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે દૂર નહીં જવું પડે, જેનાથી ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં મોટી મદદ મળશે.





