રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા19 માર્ચ, 2026

ડીસા પંથકમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો

ડીસા પંથકમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો
 ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી વૃક્ષો ધરાશાયી અને પતરાં ઉડ્યા ​બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ગાજવીજ અને ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે (માવઠું) સમગ્ર પંથકમાં ભારે તારાજી સર્જી છે. અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે મકાનોના પતરાં ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે. સૌથી વધુ માઠી અસર ખેતી પર પડી છે, જેમાં તૈયાર ઘઉંનો પાક પલળી જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે ​ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી પરોઢથી જ પવનની ગતિ તેજ બની હતી.મીની વાવાઝોડા જેવા પવનને કારણે રસ્તા પરના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. કેટલાક વિસ્તારોમાં કાચા મકાનો અને ખેતરોમાં બનાવેલા શેડના પતરાં કાગળની જેમ હવામાં ઉડ્યા હતા.​ખાસ કરીને ડીસા પંથકના સમશેરપુરા અને જોરાપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન થયું છે. આ  બાબતે જોરાપુરા ગામના ખેડુત પ્રકાશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ખેતરોમાં હાલ ઘઉંની લણણીની સીઝન ચાલી રહી છે. ઘણા ખેડૂતોએ ઘઉં વાઢીને ખેતરમાં તૈયાર રાખ્યા હતા, જે વરસાદમાં પલળી ગયા છે.અમે આ વખતે મહેનત કરીને ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉં વાઢીને ઘરે લેવાની તૈયારી જ હતી ત્યાં આ વરસાદ ત્રાટક્યો. અમારો તમામ પાક પલળી જતાં ભારે નુકસાન થયું છે. અમારી હાલત 'પડતા ઉપર પાટુ' જેવી થઈ છે. ​હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા સમગ્ર ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માવઠાને કારણે માત્ર ઘઉં જ નહીં, પણ અન્ય રવિ પાકોને પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના સર્વે અને સહાયની આશા રાખી રહ્યા છે.    

સંબંધિત સમાચાર