વિદ્યાર્થીઓએ વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગડ વિદ્યામંદિર, થરા અને સી.એમ. શાહ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સુર્યાબેને બાળકોને સંબોધતા કહ્યું કે જીવનને સાર્થક બનાવવા માટે વ્યસનથી દૂર રહેવું જરૂરી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સાથે ફેશન અને મોબાઈલના અતિશય ઉપયોગનો ત્યાગ કરવા અને વહેલા ઉઠીને અભ્યાસ કરવાથી યાદશક્તિ વધે છે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.સી.એમ. શાહ કન્યા વિદ્યાલયના આચાર્ય ગીરાબેને આભાર વિધિ દરમિયાન જણાવ્યું કે વિદ્યાર્થી કાળ દરમિયાન કારકિર્દી ઘડવા માટે વહેલા જાગીને વાંચવું ખૂબ જરૂરી છે. વહેલા ઉઠવાથી મનની એકાગ્રતા અને યાદશક્તિ બંને વધે છે.
આ પ્રસંગે પ્રજાપિતા ઈશ્વરીય વિદ્યાલય તરફથી બ્રહ્માકુમારી સુર્યાબેન અને અન્ય બહેન, શ્રી ઓગડ વિદ્યામંદિરના આચાર્ય અશોકભાઈ વાલાણી,સુપરવાઇઝર ચંપકભાઈ પરમાર તેમજ સી.એમ. શાહ કન્યા વિદ્યાલય, થરાના તમામ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન જે.ટી. જોશીએ કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





