સરકારી જમીન ખુલ્લી કરાતાં અનેક પરિવારો બેઘર બન્યાં : અન્યત્ર જગ્યા ફાળવવા રજુઆત કરી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 5 માં આવેલા બલોચ વાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 1701 હેઠળની 5734 ચોરસ મીટર જમીન પરના 40 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.આ કાર્યવાહીને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાધનપુર શહેરના વોર્ડ નંબર 5 માં આવેલી આ સરકારી જમીન પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો હતા. તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, જેની મુદત પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન અસર ગ્રસ્ત સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે આક્ષેપો કર્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તેઓ છેલ્લા 40 વર્ષથી આ જગ્યા પર રહે છે અને તંત્ર દ્વારા પૂરતી જાણકારી આપ્યા વિના જ આ મકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રહેઠાણ ગુમાવનારા લોકોએ સરકાર પાસે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી આપવા માટે માગ કરી છે.
આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, આ જમીન સિટી સર્વે નંબર 1701 હેઠળ આવે છે, જેનું ક્ષેત્રફળ 5734 ચોરસ મીટર (આશરે 57 ગુંઠા) છે. આ સરકારી જમીન છે અને સિટી સર્વે કચેરીએ 17 એપ્રિલ 2026 ના રોજ આ અંગે 202ની નોટિસ આપી હતી. કુલ 21 મકાનોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી 13 રહીશોએ પોતાના મકાન ખાલી કરી દીધા હતા.બાકીના 8 રહીશોએ મકાન ખાલી ન કરતા, સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન, ચીફ ઓફિસર અને જી.ઈ.બી. સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.





