મહેસાણા શહેરમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ઝંડા અને બેનરો વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવાની કાર્યવાહી સામે 'આપ'ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શાસક પક્ષ ભાજપ અને સ્થાનિક પ્રશાસનની કથિત તાનાશાહીના વિરોધમાં આજે મહેસાણામાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરીને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ મુખ્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. તેઓએ શાસક પક્ષ ભાજપ, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ અધિક જિલ્લા કલેકટર જે.કે.જેગોડાને લેખિત ફરિયાદ કરી ન્યાયિક માંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તદુપરાંત મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી નારેબાજી કરીને નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાને લેખિત અને મૌખિક રજુઆત કરી સાંજ સુધીની અલટીમેટમ આપતાં સ્પષ્ટ રજુઆત કરી હતી કે કાયદાની રુએ જો આપના બેનર, પડદા અને ખેસ ઉતારીને હટાવી શકાય છે તો ભાજપ અને કોંગ્રેસના કર્મ નહીં?? મનપા કમિશનર દ્વારા ભાજપ અને કોંગ્રેસના પણ બેનર, પડદા અને ખેસ જાહેર જગ્યાઓ પરથી ઉતારી લેવા જણાવ્યું હતું. અને જો એમ કરવામાં જિલ્લા કલેકટર અને મનપા કમિશનર નિષ્ક્રિયતા દાખવશે તો આમ આદમી પાર્ટી દ્વારા જાતે જ બીના બધાના બેનર, પડદા અમે ખેસ ઉતારીને ન્યાય કરવામાં આવશે.
મહેસાણા જિલ્લા આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે પક્ષપાતી વલણ સાથે મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી માત્ર શાસક પક્ષના ઈશારે જ કામ કરી રહી છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરતા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના પ્રચાર અને પ્રસારને રોકવા માટે જાણી જોઈને ઝંડા ઉતારવામાં આવ્યા છે. લોકશાહીનું હનન કરતું સરકારી તંત્ર નિષ્પક્ષ કામગીરી કરવાના બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યું છે.
સમગ્ર ઘટના બાબતે આપ નેતાઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે "શાસક પક્ષ ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયો છે. અમારા ઝંડા ઉતારવા એ તેમની નિરાશા દર્શાવે છે. કલેક્ટર અને કમિશનરે નિષ્પક્ષ રીતે કાયદાનું પાલન કરાવવું જોઈએ, પરંતુ તેઓ ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. અમે આ અન્યાયી કાર્યવાહી સાંખી નહીં લઈએ અને જનતાની વચ્ચે જઈને તેનો ખુલાસો કરીશું." - આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા જાહેર નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનના પગલે મહેસાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા આ પ્રકારની એકતરફી કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વિરોધ બાદ કલેક્ટર અને કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આ મામલે ગંભીર રજૂઆત કરી આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.





