ડીસાની ૫ મી એડિશનલ સેસન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો : સમાજમાં દાખલો બેસે તેવો ન્યાય
ડીસાની નામદાર પાંચમી એડિશનલ સેસન્સ કોર્ટે સાપરાધ મનુષ્ય વધના એક ગંભીર કેસમાં ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપતા આરોપીને ૬ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મોબાઈલના માત્ર ૫૦૦ રૂપિયાની નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં વચમાં પડેલા ૨૦ વર્ષીય યુવકની છરાના ઘા ઝીંકી હત્યા કરવા બદલ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.
કેસની વિગત મુજબ, આરોપી માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોર (રહે. વડા, તા. કાંકરેજ, હાલ રહે. કચ્છી કોલોની, રવેચી નગર) ને ફરિયાદી દિલીપભાઈ નાગજીભાઈ બારોટ પાસેથી મોબાઈલની લેતીદેતીના રૂ.૫૦૦/- લેવાના બાકી હતા. આ બાબતની અદાવત રાખી આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી, ગાળો બોલી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન ફરિયાદીનો ૨૦ વર્ષનો નાનો ભાઈ ચિરાગ બારોટ વચ્ચે છોડાવવા પડતા, આરોપી માલાભાઈએ ઉશ્કેરાઈને ચિરાગના માથામાં ઈંટ મારી દીધી હતી. ચિરાગ પાછો પડતાં જ આરોપીએ ક્રૂરતાપૂર્વક પોતાની ફાટમાંથી છરો કાઢી તેની પીઠના ભાગે મારી દીધો હતો, જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે ચિરાગનું મોત નીપજ્યું હતું.
આ અંગે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર ૦૩૦૮/૨૦૨૨ થી ફરિયાદ નોંધાઈ હતી. તપાસ કરનાર અધિકારીએ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી નામદાર કોર્ટમાં ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૯૪ (બી) મુજબ ચાર્જશીટ દાખલ કરી હતી, જેનો સેસન્સ કેસ નં. ૫૭/૨૦૨૨ ચાલવા પર આવ્યો હતો.આ કેસ ડીસાની મે. પાંચમી એડિશનલ સેસન્સ કોર્ટ સમક્ષ ચાલી જતાં, સરકારી વકીલ વિપુલ બી. કંસારાએ સરકાર પક્ષે જોરદાર રજૂઆતો કરી હતી. તેમણે સાંયોગિક પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલ કરી હતી કે, સમાજમાં વધતા જતા આવા ગુનાઓ અટકે અને ગુનાહિત પ્રકૃતિ ધરાવતા તત્વોમાં કાયદાનો ડર બેસે તે માટે આરોપીને વધુમાં વધુ સજા થવી અનિવાર્ય છે.નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપી માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોરને સાપરાધ મનુષ્યવધના ગુનામાં કસુરવાર ઠેરવ્યો હતો. અને ૬ વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવ્યો છે. ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય અને સમાજમાં એક સચોટ ઉદાહરણ પૂરું પડે તેવો આ ચુકાદો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.





