પાલનપુરમાં વીજ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા : વીજળી સુધારા બિલ પાછું ખેંચવા સહિત આઠ માંગણી મુદ્દે સરકારનો વિરોધ

પાલનપુરમાં વીજ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા : વીજળી સુધારા બિલ પાછું ખેંચવા સહિત આઠ માંગણી મુદ્દે સરકારનો વિરોધ

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) પાલનપુર કચેરીના અંદાજે 2200 જેટલા કર્મચારીઓએ વીજળી સુધારા બિલ પાછું ખેંચવા, ખાનગીકરણને અટકાવવા તથા નોકરીઓનું કરારીકરણ બંધ કરી કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવા સહિતની વિવિધ આઠ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા દેશવ્યાપી વિરોધ કાર્યક્રમના આહ્વાનના અનુસંધાને પાલનપુરમાં કર્મચારીઓએ બપોરે 2:00 વાગ્યાના રિસેસના સમયે એકત્રિત થઈ સરકારની ખાનગીકરણ નીતિ સામે સુત્રોચ્ચાર કર્યો હતો.કર્મચારીઓએ જણાવ્યું હતું કે વીજળી ભારતના અર્થતંત્ર, કૃષિ, ઉદ્યોગ અને ગ્રામ્ય આજીવિકાની કરોડરજ્જુ છે અને પ્રસ્તાવિત વીજળી સુધારા બિલ–2025 તથા રાષ્ટ્રીય વીજળી નીતિ–2026 જાહેર માલિકી, સસ્તી વીજળી અને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષા માટે નુકસાનકારક બની શકે છે.

કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પાવર સેક્ટરમાં વધતા ખાનગીકરણ અને આઉટસોર્સિંગના કારણે કરાર આધારિત ભરતી વધી રહી છે, જેના કારણે કર્મચારીઓની નોકરીની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય છે. આ પ્રથા બંધ કરી નિયમિત ભરતી કરવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ફેડરેશન દ્વારા પોતાની માંગણીઓ અંગે કેન્દ્રીય ઊર્જા મંત્રીને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં ચર્ચા માટે કોઈ પહેલ ન થતાં દેશભરના વીજ કર્મચારીઓએ વિરોધ કાર્યક્રમો યોજ્યા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *