ગણેશપુરામાં બાળક સહિત પંદરેક લોકોને શ્વાન કરડયું
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા માટે તંત્ર અને નેતાઓ પાસે સમય નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તાર માં આવેલા વૃંદાવન સોસાયટી પાસે શ્વાનોનો ત્રાસ વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, વિસ્તારમાં એક બાળક સહિત અંદાજે પંદર જેટલા લોકોને શ્વાને કરડી ખાધા છે. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતાં બાઈક, સ્કૂટર અને સાઇકલ ચાલકોના પાછળ શ્વાન દોડતા હોવાને કારણે અકસ્માતો ની શક્યતાઓ વધી રહી છે. કેટલાક વાહનચાલકો શ્વાન પાછળ દોડતા ભયના માર્યા પડી જતા હોવાની પણ રાવ ઉઠી છે.
આ મામલે સ્થાનિકોએ છેલ્લા બે મહિનાથી નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. લોકોનો આક્ષેપ છે કે હાલ ચૂંટણીને કારણે ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકામાં સેનિટેશન વિભાગમાં ભાવેશ ભાઈ અને શૈલેશભાઈને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક શ્વાનોને પકડવાની અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. જોકે, તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ મુદ્દો ચૂંટણીમાં પણ ગરમાવો લાવી શકે છે.





