બહેનો સામે કોઈ પડે તેને જવાબ આપજો : મુખ્યમંત્રી
એક તરફ વિકાસની ખાતરી અને વિપક્ષ પર પ્રહાર, બીજી તરફ મહિલા કાર્યક્રમમાં ભેદભાવના આક્ષેપોથી વિવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના આશીર્વાદ લીધા હતા અને વિકાસ સંકલ્પ જનસભા ગજવી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન થરાદ દૂધ શીત કેન્દ્રમાં યોજાયેલા મહિલા જાગૃતિ કાર્યક્રમમાં થયેલી અવ્યવસ્થા અને ભેદભાવના આક્ષેપોએ ભારે ચર્ચા જગાવી છે.
નવરચિત વાવ-થરાદ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાની પ્રથમવાર મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ધરણીધર ભગવાન અને ઢીંમણ નાગ દાદાના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક ધારાસભ્યની રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે વિસ્તારના બાકી રહેલા રોડ-રસ્તા અને અન્ય વિકાસલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આકરા તેવરમાં જણાવ્યું કે, વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, હાર્યા પછી પાંચ વર્ષ ગાયબ થઈ જાય છે.તેમણે બહેનો સામે કોઈ પડે તેને જડબાતોડ જવાબ આપવાનું આહવાન કરી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીની આ મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ રહી હતી, તેમણે અહીં થયેલા વિકાસ અને બાકીના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ઘર આંગણે પાણી મળતું થયું હોવાનું જણાવી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને એટલી લીડથી જીતાડો કે વિપક્ષ જિલ્લા સામે જોવાની દરકાર ના કરે. ચૂંટણી ટાણે મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજકીય ગરમાવો વધી પડ્યો છે.





