વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમના જનસેવા અને સાર્વજનિક શાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન એક માસ માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિશેષ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં જિલ્લા પ્રભારી સંજયભાઈ દેસાઈએ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું હતું કે, અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’, ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત’, નમો સેવા ગાથા શેરીનાટક, ‘આંગણાનો ઉત્સવ’, ‘વાર્તા પરિવર્તનની’, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સેવા જ્યોતિ યાત્રા, ‘વડનગરથી વારાણસી’, ‘સેવા મારું યોગદાન’, સેવા સેતુ અભિયાન, ‘રંગોળી રાષ્ટ્ર’, રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ તેમજ ‘જનસેવક મહાકુંભ - પંચાયતથી પાર્લામેન્ટ સુધી’ જેવા ૧૫થી વધુ સેવાકીય અને રચનાત્મક કાર્યક્રમો થકી લોકસંપર્ક સઘન બનાવાશે.
આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, અભિયાન ઇન્ચાર્જ મહેશભાઈ પટેલ, સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ જિલ્લા મહામંત્રીઓ દિપકભાઈ પટેલ, કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને રણધીરભાઈ ચુડગર સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અભિયાન ઇન્ચાર્જ મહેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.





