સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કાનપુર ગામની સીમમાંથી પસાર થતી ગૌવાવ નદીના પુલ પર બે પૂરપાટ ઝડપે આવી રહેલી બાઇકો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતની આ કરુણ ઘટનામાં બંને બાઇકચાલકોનાં ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ બંને ચાલકોએ દમ તોડી દીધો હતો. એકસાથે બે યુવાનોના આકસ્મિક મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોટો મોજું ફરી વળ્યું છે અને મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





