વડીયા ગામ ખાતે આવેલું વર્ષો જૂનું બસ પ્રતીક્ષાલય હાલમાં અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. પ્રતીક્ષાલયની દીવાલો અને છત નુકસાનગ્રસ્ત બની ગઈ છે તેમજ આસપાસ બાવળ અને ઝાડી-ઝાંખર ઉગી જતાં મુસાફરો માટે તેનો ઉપયોગ અશક્ય બની ગયો છે.ગામના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા રોજિંદા મુસાફરોને બસની રાહ જોતી વખતે ખુલ્લામાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ઉનાળામાં તીવ્ર ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ સાંખલા દ્વારા રાજ્ય સરકાર અને પરિવહન વિભાગ સમક્ષ રજૂઆત કરી ગામના હાલના જર્જરિત બસ પ્રતીક્ષાલયને દૂર કરી તેના સ્થાને નવું, આધુનિક અને સુવિધાસભર બસ પ્રતીક્ષાલય નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોની માંગ છે કે નવા પ્રતીક્ષાલયમાં બેસવાની સુવિધા, મજબૂત શેડ, પીવાના પાણીની વ્યવસ્થા, લાઈટિંગ અને બસ સમયપત્રક બોર્ડ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી મુસાફરોને રાહત મળી શકે. ગ્રામજનો અને મુસાફરોની લાંબા સમયથી ચાલતી આ માંગણીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર તથા સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.





