સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કરતા સ્વૈચ્છિક મૌન હડતાળ પાડી હતી. શહેરમાં લાંબા સમયથી અધૂરા લટકેલા વિકાસકામો, ગટર અને રસ્તાઓની ખરાબ હાલત તેમજ અન્ય સ્થાનિક સમસ્યાઓથી ત્રસ્ત થઈને વેપારીઓએ પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી હતી.
વિકાસના નામે ચાલતી અપર્યાપ્ત કામગીરી અને તંત્રની ઉદાસીનતા સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે વેપારી એસોસિએશને આ શાંતિપૂર્ણ મૌન આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. હડતાળના કારણે બજારોમાં સન્નાટો છવાયો હતો. વેપારીઓએ ચીમકી આપી છે કે, જો વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.





