રાજ્યમાં ભરઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે છે. હાલમાં રાજ્ય તરફ ત્રણ વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 10 દિવસ સુધી એટલે કે, 12 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કરા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ મે મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડું આવી શકે એવું અંબાલાલ પટેલે ઉમેર્યું હતું.
અંબાલાલ પટેલની આગાહી: મે મહિનામાં વાવાઝોડાનું સંકટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી આપી છે: 10 દિવસની અસર: એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં (ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં) પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. મે મહિનામાં વાવાઝોડું: અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 17 મે બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હલચલ વધશે. આ સિસ્ટમ સક્રિય થવાથી મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં ગુજરાતના દરિયાકાંઠે ભારે વાવાઝોડાની શક્યતા છે.
ગરમીનો પારો: માવઠાની અસર ઓછી થતા જ એપ્રિલના અંતમાં તાપમાન 45°C ને પાર કરી શકે છે.
ખેડૂતો માટે સાવચેતીની સૂચના હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને નીચે મુજબની તકેદારી રાખવા અપીલ કરી છે: પાકનું રક્ષણ: માર્કેટિંગ યાર્ડ (APMC) કે ખેતરમાં પડેલો ઘઉં, જીરું, રાયડો અને ધાણા જેવા તૈયાર પાકને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો.






