કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ આંબલીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ રામશુંગભાઈ સિલ્વાએ વ્યાજખોરોના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રણાવાડા જાગીર ગામના રમેશભાઈ દેવરામભાઈ રાવલ અને પ્રહલાદભાઈ લખીરામભાઈ રાવલ તથા રાનેર ગામના ભાયરામભાઈ જેમલભાઈ દ્વારા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ત્રાસથી માનસિક રીતે પરેશાન થયેલા રમેશભાઈએ તા. 31 મે, 2026ના રોજ બપોરે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક શિહોરીની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રમેશભાઈ રામશુંગભાઈ સિલ્વાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ દેવરામભાઈ રાવલ, પ્રહલાદભાઈ લખીરામભાઈ રાવલ અને ભાયરામભાઈ જેમલભાઈ જોશી સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઠાકર સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





