સાબરકાંઠા જિલ્લામાં ઋતુ બદલાતાની સાથે જ વાયરલ સંક્રમણ અને જીવલેણ રોગોએ માથું ઊંચક્યું છે. જિલ્લાના ત્રણ અલગ-અલગ તાલુકાઓમાં સ્વાઈન ફ્લૂના ૪ નવા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવેલા ૨ દર્દીઓ સારવાર દરમિયાન કાળનો કોળિયો બન્યા છે, જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
સ્વાઈન ફ્લૂના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા અને તાવ કે શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.





