કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં મનપા જાગશે?
મહેસાણા શહેરમાં દિવસે રખડતા ઢોર અને રાત્રે શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહ્યો છે, જે મનપા તંત્રની ઘોર બેદરકારી કે પછી તેની લાચારી છતી કરે છે. મહેસાણા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે કે પછી પશુઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે તેવો ગંભીર સવાલ હાલ સ્થાનિકોને સતાવી રહ્યો છે. શહેરના એકેય મુખ્ય માર્ગો એવા બાકી નથી જ્યાં રખડતા પશુઓએ અડિંગો ન જમાવ્યો હોય. દિવસે રખડતા ઢોર અને રાત્રે રખડતા શ્વાનનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નાગરિકોનું રસ્તા પર નીકળવું હવે જીવના જોખમ સમાન બની ગયું છે. ચોંકાવનારી બાબત એ છે કે મહેસાણા મહાનગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ દોડતી હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે વાસ્તવિક ધરાતલ પર હકીકત કાંઈક જુદી જ અને ભયાવહ છે.
શહેરમાં પશુઓનો વ્યાપ એટલી હદે વધી ગયો છે કે મોઢેરા ચોકડીથી દેદિયાસણ સુધી અને રાધનપુર ચોકડીથી છેક પાંચોટ સુધીના માર્ગો ઢોરોથી ઉભરાઈ રહ્યા છે. આ ઉપરાંત, બિલાડી બાગથી લઈને છેક માનવ આશ્રમ ચોકડી અને વિસનગર રોડ સુધી, તેમજ માનવ આશ્રમ ચોકડીથી ગાંધીનગર લિંક રોડ સુધી પશુઓ રસ્તાની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસે છે. પરા વિસ્તારથી લઈને તોરણવાળી ચોક સુધી, મોઢેરા ચોકડીથી પાલાવાસણા ચોકડી અને ત્યાંથી છેક રામપુરા ચોકડી સુધી તેમજ રાધનપુર ચોકડીથી રામોસાણા સુધીના તમામ ધમધમતા રસ્તાઓ પર રખડતા પશુઓનું સામ્રાજ્ય સ્થપાયેલું જોવા મળે છે. રાત્રિના સમયે વાહનચાલકો માટે અંધારામાં આ પશુઓ અકસ્માતનું મોટું કારણ બની રહ્યા છે, તો બીજી તરફ રખડતા શ્વાનો પાછળ પડતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે.
આ ગંભીર અને સંવેદનશીલ બાબતે મનપાના જવાબદાર અધિકારીઓ કડવું સત્ય સ્વીકારવા જ તૈયાર નથી. જ્યારે પણ પ્રજા કે મીડિયા દ્વારા આ અંગે સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે અધિકારીઓ "એજન્સીને કામ સોંપેલું છે અને તેઓ તેમની રીતે સમય અનુસાર ઢોર પકડવાની કામગીરી કરે છે" તેવા અધ્ધરતાલ જવાબો આપીને પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકબારી શોધી લે છે. લાખો રૂપિયાના ટેન્ડરો બહાર પાડ્યા પછી પણ જો પ્રજા ત્રાહિમામ હોય, તો એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થાય છે.





