યાત્રાધામ અંબાજી મંદિરમાંથી ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે મંદિરના વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં જ્યારે ખુદ મંદિરનો જ કર્મચારી ચોરી કરતા પકડાય, ત્યારે ભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
કરોડોની આવક ધરાવતા આ વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર જગાવી છે.આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મંદિરના વહીવટદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉઠાવવાનું ટાળ્યું હતું. બીજી તરફ, મંદિરના એકાઉન્ટ ઓફિસર દ્વારા પણ સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળમોળ વાતો કરીને ઘટનાને રફા-દફા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જણાય છે.સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં મંદિરનો ભંડારો (દાનપેટીની ગણતરી) રાખવામાં આવે છે, તેવા અતિ સંવેદનશીલ સ્થળે સીસીટીવી કેમેરા જ ન હોવાનું સામે આવ્યું છે. આ એક મોટી સુરક્ષા ચૂક ગણાય. આશંકા સેવાઈ રહી છે કે આ પટાવાળો તો માત્ર એક મહોરું છે, તેની પાછળ કોઈ મોટું નેટવર્ક અથવા 'મોટા માથા'ની મિલીભગત હોઈ શકે છે. ઘટનાને દબાવવાના પ્રયાસો જોતા આ આશંકા વધુ પ્રબળ બની રહી છે.અંબાજી મંદિર એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ લાખો લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ભક્તો પોતાની પરસેવાની કમાણીમાંથી માતાજીના ચરણે જે દાન ધરે છે, તેનું રક્ષણ કરવાની જવાબદારી મંદિર ટ્રસ્ટની છે. આવી ઘટનાઓથી ભક્તોનો વિશ્વાસ ડગમગી શકે છે. હાલમાં આ મામલે તટસ્થ તપાસની માંગ ઉઠી રહી છે જેથી સત્ય બહાર આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.
પટાવાળાની કરતૂતઃ ૧.૪૦ લાખની ચોરી
અંબાજી મંદિરના ભંડારામાંથી આશરે ૧.૪૦ લાખની રોકડ રકમની ચોરી કરતા મંદિરનો જ એક પટાવાળો ચિરાગ ઠાકોર રંગેહાથ ઝડપાયો છે. મંદિરના પવિત્ર પરિસરમાં રહીને જ શ્રદ્ધાળુઓના દાન પર હાથ સાફ કરનાર આ કર્મચારીની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુરક્ષાના આટલા મોટા કાફલા વચ્ચે એક સામાન્ય પટાવાળો આટલી મોટી રકમ કેવી રીતે ચોરી શક્યો, તે પણ એક ગંભીર તપાસનો વિષય છે.





