બનાસકાંઠા જિલ્લાની બોદી નેતાગીરીના પાપે જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર નધણીયાતું બની ગયું હોવાની રાવ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલી કલેકટર કચેરી, જી.પં. ભવન સહિતની કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે ખુદ ભાજપ અગ્રણીએ જ અવાજ ઉઠાવતા મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના જોરાવર પેલેસમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જી.પં. ભવન, ન્યાયાલય, પોસ્ટ, ટેલિફોન સહિત બહુમાળી બિલ્ડીંગ જિલ્લા સેવા સદનમાં લગભગ તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જે જિલ્લા ભરમાંથી આવતા અરજદારો માટે એકજ સંકુલમાં આવેલી કચેરી ઓ સુગમ અને સરળ બની રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સહિતની કચેરીઓ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે 16 એકરમાં આવેલી સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે સત્તામાં રહેલી જિલ્લાની નેતાગીરી ગાંધારીની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્ય મેરુજી ધૂંખ પુનઃ જિલ્લાવાસીઓ ની વ્હારે આવ્યા છે.






