પાટણ પાલિકા દ્વારા વેદ ટાઉનશીપના રહીશોને સ્વૈચ્છીક દબાણ હટાવવા નોટિસ આપી

રહિશોએ ઘર આગળ રોડ નીચો થતાં બનાવેલ ઓટલા-ઢાળને સુવિધા લેખાવી દબાણ નહીં
પાટણની વેદ ટાઉનશીપમાં 26 મકાન ધારકોને ઓટલા અને ઢાળના દબાણ દૂર કરવા પાટણ નગરપાલિકાએ નોટિસ ફટકારતાં વિવાદ સર્જાયો છે. રહીશોએ પાલિકા પ્રમુખને ગુરૂવારે રૂબરૂ મળી રજૂઆત કરી જણાવ્યું છે કે, આ દબાણ નથી, પરંતુ બિલ્ડરે રોડનું લેવલ નીચું કરતાં ઊભી થયેલી સ્થિતિ છે.પાટણ નગરપાલિકાએ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ વેદ ટાઉનશીપના પશ્ચિમ બાજુના 26 મકાન ધારકોને રસ્તાની જમીન પર ઓટલા અને ઢાળ બનાવી દબાણ કરવા બદલ નોટિસ આપી હતી. આ નોટિસમાં 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા અથવા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું હતું. જેના પગલે ગુરૂવારે રહીશોએ પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો.રહીશોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, અગાઉ સોસાયટીના મકાનો અને રોડનું લેવલ સમાંતર હતું. જોકે, પાછળથી બનતી નવી સોસાયટીઓના બિલ્ડરે વરસાદી પાણીના નિકાલ માટે રોડનું આશરે 2 ફૂટ જેટલું ખોદકામ કરીને લેવલ નીચું ઉતારી દીધું હતું.
બિલ્ડરે પોતાની સોસાયટીને બચાવવા માટે રોડની માટી ખોદી લેતા રહીશોને પોતાના મકાનમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. આથી, હાલ જે ઓટલા કે ઢાળ દેખાય છે તે કોઈ દબાણ નથી, પરંતુ રોડ નીચો થઈ જવાથી ઊભી થયેલી અનિવાર્ય જરૂરિયાત છે.રહીશોએ વધુમાં દલીલ કરી છે કે મકાન પાસેના ખેતરના જૂના લીમડાઓ આજે પણ પુરાવા તરીકે મોજૂદ છે, જે જમીનના મૂળ લેવલની સાબિતી આપે છે. ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાતા હોવાથી શાળાએ જતા બાળકો અને રાહદારીઓ આ ઓટલાનો ઉપયોગ ફૂટપાથ તરીકે પણ કરે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, અધિકારીઓ રૂબરૂ સ્થળ તપાસ કરી વાસ્તવિકતાની ખાતરી કરે અને બિલ્ડર દ્વારા કરાયેલા ખોદકામને કારણે ઊભી થયેલી સમસ્યાનો ન્યાયિક ઉકેલ લાવવામાં આવે. આ મામલે સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખને પણ રૂબરૂ મળી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
8 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
8 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
