રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુરના કંથેરીયા હનુમાન રોડની દુર્દશા : યાત્રાધામ અંબાજી સહિતના ગામડાઓને જોડતો રોડ બિસ્માર

પાલનપુરના કંથેરીયા હનુમાન રોડની દુર્દશા : યાત્રાધામ અંબાજી સહિતના ગામડાઓને જોડતો રોડ બિસ્માર
પાલિકાની બાંધકામ કમિટીના રાજમાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન પાલનપુર નગરપાલિકાની બાંધકામ કમિટીના રાજમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બન્યા છે. પરંતુ આજે શહેરમાં એક પણ રોડ રસ્તો સારો રહ્યો નથી. શહેરના મોટાભાગના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુરના કંથેરીયા હનુમાન રોડની ભંગાર હાલતને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિર જતા રોડની હાલત બદતર જોવા મળી રહી છે. આ રોડ પર ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોતા ખાડામાં રોડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ ભંગાર હાલતમાં છે. જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાની બાંધકામ કમિટીના ચેરમેન દિલીપ પટેલને રજુઆત કરવા છતાં લોકોની રજુઆત બહેરા કાને અથડાઈને પરત ફરી છે. અંબાજી ભાદરવા પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પના સંચાલકોએ પણ આ રોડની દુર્દશા અંગે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાં રોડની હાલત ઠેરની ઠેર રહેતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હોવાનું સ્થાનિક પરેશભાઈએ જણાવ્યું હતું.     શ્રી કંથેરિયા હનુમાન મંદિરે દર મંગળવાર અને શનિવારે ભક્તો દર્શનાર્થે આવે છે. જેઓને પણ ખાડા ખાબોચિયામાંથી પસાર થવું પડે છે. શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ પરેશાની ભોગવી રહ્યા હોવાનું સ્થાનિક વિશાલભાઈ માળીએ જણાવ્યું હતું. ડિસ્કો રોડને લઈને વાહન ચાલકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી રિક્ષાવાળાઓ પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે સત્વરે આ માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. આ ભંગાર રોડને લઈને સ્થાનિક વેપારીઓની રજુઆત બાદ બાંધકામ કમિટી દ્વારા માત્ર થાગડ થિગડ કરી સંતોષ માનવામાં આવે છે. રોડ બનાવવાને બદલે રોડના ખાડા પુરી બાંધકામ કમિટીના શાસકોના પેટના ખાડા પુરવામાં આવતા હોવાનો ઉભરો સ્થાનિકોએ ઠાલવ્યો હતો. ત્યારે પાલિકાના વહીવટને વગોવતી બાંધકામ કમિટી પર ભાજપ મોવડી મંડળ લગામ કસે તેવી માંગ ઉઠી છે.      
  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર