મહેસાણા જિલ્લાના ગોઝારિયામાંથી પસાર થતા નેશનલ હાઇવે 68 (પાટણ-મહેસાણાથી ગોઝારિયા રૂટ) ની કામગીરી હાલ સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. અહીં નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હાઇવે પર બની રહેલા નવા બ્રિજના કારણે ગામલોકોનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. આ માર્ગ બંધ થવાથી ખેડૂતોને પોતાના ખેતરે જવામાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનો જીવાદોરી સમાન રસ્તો છીનવાઈ જતાં લોકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગોઝારિયાના રહીશો અને ભાજપના સક્રિય કાર્યકર શોભનાબેન બી. શાહ દ્વારા દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને એક લેખિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે લોકોની સુવિધા અને અવરજવરને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે 25 ફૂટનો અંડરપાસ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પોતાની માંગણીઓને બુલંદ કરવા અને વિરોધ નોંધાવવા માટે ગુરુવારના રોજ ગોઝારિયાના અગ્રણીઓએ બ્રિજની સાઇટ પર પહોંચીને દેખાવો કર્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ગામના આગેવાનો સર્વેશ્રી ભીખાભાઈ સોમાભાઈ પટેલ, નાથાભાઈ અંબાલાલ પટેલ, જયંતિભાઈ નારણભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય એલ.વી. ઠાકોર, પૃથ્વીભાઈ, પ્રફુલભાઈ અને રમણભાઈ સહિતના અનેક લોકો જોડાયા હતા. જોકે, પરિસ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલાં જ સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરી હતી. પોલીસે દેખાવકારો સામે કડક વલણ અપનાવીને તમામ ગ્રામજનોને બ્રિજના સ્થળેથી દૂર કર્યા હતા અને હાઇવેના નિર્માણની કામગીરી ફરીથી રાબેતા મુજબ ચાલુ કરાવી દીધી હતી. હાલમાં સ્થાનિકો અંડરપાસની માંગણીને લઈને મક્કમ છે અને ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.





