રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ એચ. પરમાર અને ઉપપ્રમુખ ભરતભાઈ ડી. ચૌધરીએ વિધિવત રીતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂજન-અર્ચન કરીને બંને આગેવાનો પોતાની ખુરસી પર બિરાજમાન થયા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, અને બાબુલાલ પરમાર અને રમેશભાઈ મકવાણા અને તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું અભિનંદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ રમેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકાના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ ગામડાંઓના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી રાધનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 18 બેઠકોમાંથી 16 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બનતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આજે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બંને આગેવાનોએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.





