મહેસાણા મનપાના સીમાંકન અને વિકાસના નક્શાને લઈ વિવાદ અટકવાની જગ્યાએ વધતો જઈ રહ્યો છે. ત્યારે મનપાના અણઘડ વહીવટના કારણે એસી ઓફિસોમાં બેસીને નકશા ચીતર્યા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે મનપાની નવી ટીપી સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલા ગામોમાં ખેડૂતોને જમીન ખોવાનો ભય સતાવી રહ્યો છે. જેના વિરોધમાં મહેસાણા મહા નગરપાલિકાની આગામી ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરતા બેનર લગાવી દઈ કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં 'નો એન્ટ્રી' ફરમાવી દેવામાં આવી છે.
મનપાની નવી ટીપી સ્કીમમાં બનાવેલા નકશામાં શહેરને અડીને આવરી લેવામાં આવેલા ઉચરપી ગામ પછી તાવડીયાના ગ્રામજનોએ પણ મનપાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતા બેનર લગાવ્યા છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈપણ રાજકીય પક્ષ કે તેના નેતાઓને અમારા ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જેની પાછળનું મુખ્ય કારણ મનપા દ્વારા નવા સૂચિત રિંગ રોડ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો એકમાત્ર ભય છે. જેમાં 40 ટકા જેટલી જમીન કપાત થાય તો કંઈ બાકી નહીં રહે. આ બાબતે તમામ ખેડૂતોએ એકસુરમાં જણાવ્યું હતું કે તેમની પાસે માંડ બે પાંચ વીઘા જેટલી નામમાત્ર જમીન છે, જેમાં ટીપી સ્કીમ હેઠળ 40 ટકા કપાત થતા તેમની પાસે પશુપાલન અને ખેતી માટે કંઈ જ બાકી રહેશે નહીં.
ખાસ કરીને 80 મીટરના રિંગ રોડને કારણે અનેક ખેડૂતોના પાણીના બોર અને પિયતની લાઈનો નાશ પામશે, જેની સીધી અસર ગામના લાખો લિટર દૂધના ઉત્પાદન પર પડશે. ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામની નજીકમાં કોઈ જ બાયપાસ નથી જોયતો. જેમાં અમારા ગામની જમીન જાય એમ છે અને ખેતીનો વ્યવસાય પડી ભાંગે એમ છે. કોઈ પાર્ટી કે પક્ષ કે કોઈ નેતાઓએ આ બાબતે અમમે સહકાર કે સહયોગ આપ્યો જ નથી એટલે કોઈ પાર્ટીને ગામમાં આવવા દેવાના નથી. એટલે અમારા ગામોમાં ચૂંટણીનો પૂર્ણ બહિષ્કાર કરીએ છીએ. મહેસાણાના વિકાસ માટે તૈયાર કરાયેલા નકશામાં જેતે અધિકારીઓએ ઓફિસમાં બેઠા-બેઠા અણઘડ આયોજન કરી ગામ લોકો પર થોપી દીધું છે. ગામની આસપાસ 80 મીટર, 30 મીટર અને 24 મીટર જેવા અનેક નાના-મોટા રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે 200થી વધુ પરિવારોની ખેતીલાયક જમીન અને રહેણાંકના પ્રશ્નો ઉભા થયા છે. જેના લીધે ઉચરપી, તાવડીયા અને ડેલા વસાહત જેવા ગામોમાં સંપૂર્ણપણે ચૂંટણીનો બહિસ્કાર કરતા બેનર લગાવી વિવિધ પક્ષોને ગામમાં પ્રવેશવાની સખત મનાઈ કરવામાં આવી છે.





