મહેસાણામાં આંગડિયા પેઢીના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે. શહેરની જાણીતી રામ મોહન આંગડિયા પેઢીના સંચાલક દ્વારા અધધ ૧.૫ કરોડ રૂપિયા ઉછીના લઈને પરત ન કરવાના મામલે નોંધાયેલી ફરિયાદમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસ પકડથી બચવા માટે આરોપી સંચાલક દ્વારા મૂકવામાં આવેલી આગોતરા જામીન અરજીને મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રામ મોહન આંગડિયા પેઢીનું સંચાલન કરતા પ્રવીણ પટેલ નામના શખ્સે વિશ્વાસમાં લઈને ૧.૫ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉછીની લીધી હતી. જોકે, વાયદો વીતવા છતાં આ રકમ પરત ન કરતા અને ઉડાઉ જવાબો આપતા અંતે ભોગ બનનાર દ્વારા પ્રવીણ પટેલ સામે ઠગાઈ અને છેતરપિંડીની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આટલી મોટી રકમની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવતા સ્થાનિક વેપારી અને આંગડિયા આલમમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કેસમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી દહેશતથી આરોપી પ્રવીણ પટેલે પોતાના બચાવ માટે મહેસાણાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી ગુજારી હતી. જોકે, ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા, રકમનો મોટો વ્યાપ અને આરોપી દ્વારા આચરવામાં આવેલી પૂર્વઆયોજિત ઠગાઈને ટાંકીને આવા ગંભીર આર્થિક ગુનામાં જામીન ન આપવા માટે કોર્ટને ભારપૂર્વક રજૂઆત કરી હતી.
સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની સચોટ અને કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ.ખત્રીએ આરોપી પ્રવીણ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી નામંજૂર થતાં કાયદાનો સકંજો વધુ કસાયો છે અને હવે આરોપી સંચાલકની ગમે ત્યારે ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ચુકાદાને પગલે છેતરપિંડી આચરનારા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.





