છેલ્લા છ મહિનાની કામગીરીની સમીક્ષા કરી આગામી 6 માસના આયોજનોનું ખાસ ખાખાં તૈયાર કરાયું
ઊંઝા ખાતે વિશ્વ હિંદુ પરિષદ–ઉત્તર ગુજરાત પ્રાંતની બે દિવસીય મહત્વની પ્રાંત બેઠક યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાત પ્રાંતના વિવિધ જિલ્લા, વિભાગ અને પ્રાંત કક્ષાના અંદાજે 250થી વધુ જવાબદાર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વરિષ્ઠ આગેવાનોનું ખાસ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. જેમાં કર્ણાવતી ક્ષેત્રના પાલક ગોપાલજી, ક્ષેત્ર સહપાલક અશોકભાઈ રાવલ, ક્ષેત્ર સંગઠન મંત્રી રંગરાજેજી, ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ હર્ષદભાઈ ગીલેટવાલા અને પ્રાંત મંત્રી નલીનભાઈ પટેલ સહિતના પ્રમુખ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વીએચપી દ્વારા છેલ્લા છ મહિનામાં યોજાયેલા વિવિધ સંગઠનાત્મક, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ આગામી છ મહિનામાં યોજાનારા આગામી કાર્યક્રમો, સંગઠન વિસ્તરણ અને વિવિધ આયામો અંગેની વિસ્તૃત યોજનાઓ ઘડી કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોએ હિંદુ સમાજમાં એકતા, સામાજિક સમરસતા અને રાષ્ટ્રભાવના મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સમાજમાં સંસ્કૃતિનું સંવર્ધન થાય અને હિંદુ સમાજ વધુ જાગૃત બને તે માટે કાર્યકર્તાઓને પાયાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠકના અંતે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





