આંગડિયા પેઢીના નામે ખેલાયો હતો ખેલ
સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 2 કરોડની મસમોટી છેતરપિંડીના ગુનામાં મહેસાણાની ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગત 30 મે 2026ના રોજ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી 'આકાશ જ્ઞાનેશ્વર તથા પટેલ મુકેશકુમાર એન્ડ કંપની' આંગડિયા પેઢીના વહીવટકર્તાઓએ ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા 2 કરોડ આંગડિયા પેઢીમાં જમા કરાવવા જણાવ્યું હતું. અને તેના બદલામાં લીટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટી ટ્રસ્ટમાં રૂ. 4 કરોડ RTGSથી મોકલી આપવાની લાલચ આપી હતી. જોકે, ફરિયાદીના 2 કરોડ રૂપિયા પડાવી લઈને આરોપીઓએ કોઈ RTGS ન કરી વિશ્વાસઘાત કર્યો હતો.
આ ગુનાના આરોપીઓ મહેસાણાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી ઉનાવા પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈને મળી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એસ.વી.પઢારીયાના સુપરવિઝન હેઠળ પોલીસે આ શંકાસ્પદ સ્થળે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બંને મુખ્ય આરોપીઓ પટેલ જયેશકુમાર હરગોવિંદભાઈ (મૂળ રહે. કરણપુર કરલી, તા. ઊંઝા, જી. મહેસાણા, હાલ રહે. સુરત શહેર) શર્મા જીતેન્દ્ર મીતાનંદ (રહે. અલથાણ, સુરત શહેર) ઝડપાયા હતા.
મહેસાણા જિલ્લામાં મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ગાંધીનગર રેન્જના આઈજીપી (IGP) નરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા એસપી (SP) હિમાંશુ સોલંકી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં પીએસઆઈ એસ.વી.પઢારીયા, એએસઆઈ મહંમદ કલીમઉલ્લાખાન, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ, સંજયકુમાર તેમજ કોન્સ્ટેબલ ધવલકુમાર અને રમેશભાઈ જોડાયા હતા.





