પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિમય અને આનંદમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પ્રસંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવ તેમજ પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમના યજમાન તરીકે જલ્પાબેન નિરવભાઈ પ્રજાપતિ પરિવારે લાભ લીધો હતો. પરિવાર દ્વારા પોતાના સુપુત્ર ચિરંજીવી અથર્વ ના જન્માષ્ટમીના પવિત્ર દિવસે જન્મ દિવસની પણ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.
જન્મોત્સવ પ્રસંગે ભગવાન શ્રી પદ્મનાભજી તથા શ્રીકૃષ્ણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ નંદલાલા ને સુંદર રીતે પારણે ઝુલાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસરને કૃષ્ણમય બનાવી દીધું હતું. જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી સજાવટ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, પૂજારી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.





