રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા7 માર્ચ, 2025| Super Admin

ડીસામાં રઘુવંશી તેમજ હિન્દૂ સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

ડીસામાં રઘુવંશી તેમજ હિન્દૂ સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું
સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ જલારામ બાપા વિશે કરેલ ટીપ્પણીનો વિરોધ; સ્વામિ નારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ડીસામાં રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે, ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સ્વામી જ્ઞાન પ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડીને ભ્રામક વાતો ફેલાવી છે, જેના કારણે હિન્દુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માંગે. આ ઉપરાંત, જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા પહેલાં, ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી. ત્યારબાદ, સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર