કડી તાલુકાના વડાવી ગામમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખીને, ગામની પ્રાથમિક શાળા અને મંદિરની જમીનને ખેતીલાયક જમીન તરીકે દર્શાવી તેનો સોદો કરી દેવાયો છે. આ ગંભીર મામલે સબ રજીસ્ટ્રાર દ્વારા બાવલુ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કૌભાંડીઓએ તરસનીયા પ્રાથમિક શાળા અને નીલકંઠ મહાદેવ મંદિરની માલિકીની જગ્યા પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. સરકારી કચેરીમાં રજીસ્ટ્રેશન વખતે મિલકતના મૂળ ફોટોગ્રાફ્સના બદલે અન્ય જગ્યાના ખોટા ફોટા રજૂ કરવામાં આવ્યા હતા. આ રીતે, તંત્રને ગેરમાર્ગે દોરીને રૂપિયા ૫૪.૬૬ લાખ અને રૂપિયા ૧૧.૦૪ લાખની કિંમતના બે બોગસ વેચાણ દસ્તાવેજો તૈયાર કરી લેવામાં આવ્યા હતા. શાળાના આચાર્યની જાગૃતતાથી ભાંડો ફૂટ્યો પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, આ સમગ્ર કૌભાંડ ગત તારીખ ૧૦-૧૨-૨૦૨૫ થી ૦૪-૦૬-૨૦૨૬ ના સમયગાળા દરમિયાન આચરવામાં આવ્યું હતું. જોકે, તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્યને આ ગેરરીતિની જાણ થતાં તેમણે સમયસર વાંધા અરજી રજૂ કરી હતી. આ અરજીને પગલે સમગ્ર મામલાની તપાસ થતાં જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સબ રજીસ્ટ્રાર દ્વારા રજૂ કરાયેલા નક્કર પુરાવાઓના આધારે, બાવલુ પોલીસે કુલ ૧૪ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અમદાવાદ, મુંબઈ તેમજ કેનેડા અને યુ.એસ.એ. (NRI) સ્થિત હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ વિરુદ્ધ નોંધણી અધિનિયમની કલમ ૮૨ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં બાવલુ પોલીસ સ્ટેશનના પી.આઈ. દિલીપકુમાર બડવાએ આ કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને ગુનામાં સંડોવાયેલા શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.





