ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલે શુક્રવારે નવાનગર સ્થિત 'સોમણી ગૌશાળા'ની મુલાકાત લઈને ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં 'બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ' (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું.
નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા 'સોમ સરોવર'ની મુલાકાત લેતા રાજ્યપાલ પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઇરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.





