ગ્રામીણ વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો ઝડપથી પહોંચાડવામાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ: પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
સાબરકાંઠા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તેમજ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને BAPS સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ, હિંમતનગર ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (SIRD) અને જિલ્લા પંચાયત, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન’ અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે,, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ 'સ્વરાજથી સુરાજ્ય' તરફ આગળ વધવાનું સશક્ત માધ્યમ છે, જ્યાં ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા થકી પંચાયતી રાજને વધુ બળ મળ્યું છે. હોદ્દો કે પદ એ આપણી પ્રતિષ્ઠા નથી પરંતુ પ્રજાસેવાની પરીક્ષા, એક ઉત્તમ અવસર અને મોટી તક છે. આપણે પારદર્શી વહીવટ થકી લોકોની સમસ્યાઓને સમજીને તેના કાયમી નિવારણ માટે સતત પ્રયાસરત રહેવું પડશે. પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને શિક્ષણનું સ્તર સુધારવું તેમજ 'સમૃદ્ધ ગામ થકી સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે. વડાપ્રધાનના 'ડિજિટલ ઈન્ડિયા' અને 'ઈ-ગ્રામ વિશ્વગ્રામ'ના વિઝન, 'ગરીબ કલ્યાણ મેળા', 'સમરસ પંચાયત' અને 'સ્વચ્છ ભારત અભિયાન'ને સાકાર કરતી 'નિર્મળ ગુજરાત' યોજનાથી ગામડાંઓનો કાયાકલ્પ થઈ રહ્યો છે.





