મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા લક્ષ્મીપુરા (ખારા) ગામમાં વહેલી સવારે એકાએક ONGCના કૂવામાંથી ગેસ ગળતર શરૂ થતાં સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ લીકેજને પગલે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી ગભરાઈને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રને સમયસર કરાયેલી જાણના કારણે એક મોટી હોનારત થતી અટકી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ગામની સીમમાં સ્થિત ONGCના વેલમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ ગેસ લીકેજની ઘટના બની હતી. લીકેજ દરમિયાન ગેસ નીકળવાનો અવાજ એટલો ભયાનક હતો કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માત્ર દસથી પંદર મિનિટના ટૂંકા ગાળામાં જ ગેસની દુર્ગંધ આખા ગામમાં પ્રસરી જતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. આ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને જાગૃત ગ્રામજનોએ જરા પણ વિલંબ કર્યા વિના ONGCના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને જાણ કરી હતી.
ગ્રામજનો તરફથી માહિતી મળતાં જ ONGCની ટેકનિકલ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. ટીમે ભારે જહેમત ઉઠાવીને આશરે એકથી બે કલાકની અંદર ગેસ લીકેજની સમસ્યા પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. અને કૂવાને સુરક્ષિત રીતે બંધ કરી દીધો હતો. તંત્રની આ ઝડપી કામગીરીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં ભલે ગામમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોય, પરંતુ આ ઘટનાએ ONGCના પ્રોજેક્ટ્સ અને તેલના કૂવાઓ નજીક વસવાટ કરતા લોકોની સલામતી અંગે ફરીથી ગંભીર સવાલો ઊભા કર્યા છે.





