રૂ. 42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર અને રૂ. 20 લાખના ખર્ચે 3 નવા પીવાના પાણીના બોર બનશે
પાલનપુર શહેરમાં પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવા તેમજ ભૂગર્ભ જળસ્તર જાળવવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત રવિવારે તાજપુરા ખાતે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ શ્લો એક્વિફેર મેનેજમેન્ટ 2.0 અંતર્ગત શહેરમાં કુલ રૂ. 42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આ સ્ટ્રક્ચરના નિર્માણથી વરસાદી પાણીના સંગ્રહ તેમજ ભૂગર્ભ જળના રિચાર્જને પ્રોત્સાહન મળશે અને શહેરના ભૂગર્ભ જળસ્તરને જાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત વ્યવસાયવેરા યોજના સને 2025-26ની ગ્રાન્ટ હેઠળ રૂ. 20 લાખના ખર્ચે તાજપુરા, સુખબાગ રોડ અને કૈલાસ વાટિકા નજીક કુલ 3 નવા પીવાના પાણીના બોર બનાવવામાં આવશે. આ બોરના નિર્માણથી સંબંધિત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધામાં વધારો થવાની અપેક્ષા છે.
શરણાઈ વાડી, તાજપુરા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ માં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, કારીબારી ચેરમેન નાગજી દેસાઈ, પાણી પુરવઠા કમિટી ચેરમેન ગીતાબેન પુરોહિત, પૂર્વ પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત પાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





