થરાદના જમડા ગામના ખેડૂતો અત્યારે વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામના અંદાજે 100 જેટલા ખેતીવાડી વીજ કનેક્શનોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતો પાવર કે યોગ્ય વોલ્ટેજ ન મળતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નજર સામે મુરઝાઈ રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, અગાઉ જ્યારે તેમના ખેતીવાડી કનેક્શન ‘ભાચર ફીડર’ સાથે જોડાયેલા હતા, ત્યારે તેમને પૂરતો અને ગુણવત્તાયુક્ત પાવર મળતો હતો. પરંતુ વહીવટી કારણોસર તેમને ‘ઈઢાટા ફીડર’ માં ફેરવવામાં આવ્યા છે. આ ફીડર પર લોડનું પ્રમાણ ઘણું વધારે હોવાને કારણે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી, જેના કારણે મોટર-પંપ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.આ બાબતે અંદાજે 100 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, તેમને ઈઢાટા ફીડરમાંથી મુક્ત કરી ફરીથી ભાચર ફીડરમાં જોડવામાં આવે.
જો વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો પાવર શરૂ કરવામાં નહીં આવે, તો ઉનાળાની આ સીઝનમાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.ત્યારે વિજ વિભાગ આ બાબતે સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.





