તાલુકા કોંગ્રેસ સમિતિ, રાહ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર, ખેડૂતોના અધિકારોની રક્ષા માટે ઉઠાવી ૮ મહત્વપૂર્ણ માંગણીઓ સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા પ્રકલ્પો, પવનચક્કીઓ, વીજ સબ-સ્ટેશન અને વીજ ટાવર લાઇનના નિર્માણ દરમિયાન ખેડૂતોને થતા નુકસાન અને અપૂરતા વળતરના મુદ્દે તાલુકા કોંગ્રેસ સમિતિ, રાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય નીતિ ઘડવાની માંગ કરવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ સમિતિ, રાહના પ્રમુખ મુળસિંહ જોધસિંહ વાઘેલાના નેતૃત્વમાં હાજર નાયબ મામલદાર જગતાભાઈ પટેલ ને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલની નીતિઓમાં રહેલી વિસંગતતાઓને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આવેદનપત્રમાં સરકાર સમક્ષ કુલ ૮ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. તેમાં બજારકિંમત અથવા જંત્રીના ચાર ગણાં વળતર, જમીન સંપાદન કાયદા-૨૦૧૩ મુજબ વળતર, જમીનની કિંમતમાં થતા ઘટાડાની ગણતરી, ટાવર લાઇન પહેલાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની મંજૂરી, જાહેરનામામાં સર્વે નંબરની સ્પષ્ટ વિગતો, ખેતીની જમીનને ઓછું નુકસાન થાય તેવો રૂટ, પોલીસ સંરક્ષણ બંધ કરવું તથા અસરગ્રસ્તોની લોક સુનાવણી બાદ જ મંજૂરી આપવાની માંગનો સમાવેશ થાય છે. તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને ખેડૂતોના હિતને સર્વોપરી રાખી વીજ ટાવર લાઇન અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે પારદર્શક તથા ન્યાયી વળતર નીતિ અમલમાં મૂકવાની અપીલ કરી છે. સાથે જ સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક સકારાત્મક નિર્ણય લે તેવી માંગ પણ કરવામાં આવી છે.





