કડી સિવિલ કોર્ટનું વસૂલાત માટે મિલકત જપ્તીનું વોરંટ હતું
મહેસાણા જિલ્લામાં નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ ચાલતી નર્મદા યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મામલે નર્મદા યોજના વિભાગના અધિકારીઓની અડોડાઈ અને વહિવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના લીધે ગતરોજ ખેડૂતો દ્વારા મહેસાણા બહુમાળી ભવનમાં આવેલી નર્મદા યીજણાની કચેરીને કોર્ટના આદેશ બાદ સીલ મારી દેવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીંયા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના અરજદાર સોલંકી સેંધાજી પ્રતાપજી અને અન્ય ખેડૂતોની કે જેમની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી.
જે બાબતે લેન્ડ એક્વિઝિશન રેફરન્સ (LAR) કેસ નં. 17/2015 થી 26/2015 સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ ખેડૂતોને વળતરની રકમ ચુકવવામાં નહીં આવતા આખરે જમીનની રકમ માટે વલખા મારતા ખેડૂતોએ કાયદાકીય લડત આપવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે અનુસંધાને કડીની સિવિલ કોર્ટે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કુલ રૂ 4,30,327 ની વસૂલાત માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું. અને કડી સિવિલ કોર્ટે કડક વલણ અપનાવી ખેડૂતોને વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જાહેર કર્યું હતું.જેને લઈને ખેડૂતોએ સરકારી કચેરીનો સામાન જપ્ત કરી કચેરીને સીલ મારી દીધું હતું.





