ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) દ્વારા ખેડૂત હિતલક્ષી અભિગમ અપનાવીને 'ખેડૂત અકસ્માત વીમા યોજના' અંતર્ગત એક સંવેદનશીલ અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. તાજેતરમાં અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતક ખેડૂતના શોકગ્રસ્ત પરિવારજનોને આર્થિક સહાયરૂપે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ચેક વિતરણ કાર્યક્રમ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ખેતાભાઈ જે. રબારીના વરદ હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતોની પડખે ઊભું રહેશે તેવી ખાતરી આપી હતી.આ પ્રસંગે માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અરજણભાઈ પટેલ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમગ્ર પ્રક્રિયાને સુચારુ રૂપ આપનાર બજાર સમિતિના સેક્રેટરી એ. એન. જોશી પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે ચેરમેન ખેતાભાઈ રબારી જણાવ્યું હતું કે ખેડૂત એ જગતનો તાત છે. મુશ્કેલીના સમયમાં ખેડૂત પરિવારને સમયસર આર્થિક સહાય મળી રહે તે માર્કેટયાર્ડની નૈતિક ફરજ છે. આ અકસ્માત વીમા યોજના ખેડૂત પરિવારો માટે મોટો આશરો સાબિત થઈ રહી છે.આમ ડીસા માર્કેટયાર્ડની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સહકારી અગ્રણીઓએ બજાર સમિતિની વ્યવસ્થા અને નેતૃત્વની ભારે સરાહના કરી છે.





