અબોલ જીવોના સેવા કાર્યમાં દાતાઓને સહયોગ આપવા અપીલ
વાવ-થરાદ તાલુકાના છેવાડાના ગામો સમલીબેટ અને લોદ્રાણી વિસ્તારમાં કાળઝાળ ગરમીના કારણે ગૌમાતા તથા અબોલ જીવોની સ્થિતિ દયનીય બની રહી છે. આ વિસ્તારોમાં દાતાઓના સહયોગથી પાણીના હવાડા બનાવવામાં આવ્યા છે તથા પાણીનું કનેક્શન પણ ઉપલબ્ધ છે, પરંતુ પાણીનો પ્રવાહ અત્યંત ધીમો હોવાથી પશુઓને પૂરતું પાણી મળી શકતું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગૌમાતા અને અબોલ જીવોને સમયસર પાણી મળી રહે તે માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
લોદ્રાણી ગામના ગ્રામજનો અને સ્થાનિક દાતાઓ દ્વારા પણ પાણીના ટેન્કરો મોકલીને મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્યમાં સંસ્થાના પ્રમુખ વિશાલસિંહ ગોહિલ, વિક્રમભાઈ મહેતા, ત્રિકમપુરી ગોસ્વામી, વિહાજી હરિઓમ તેમજ સુરતથી આર.એસ. રાજપૂત દ્વારા પણ સહયોગ આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સંસ્થાએ અન્ય સેવાભાવી દાતાઓ અને ગૌભક્તોને પણ આ માનવતા અને જીવદયા ભરેલા કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી છે, જેથી આ કપરા ઉનાળામાં ગૌમાતા તથા અબોલ જીવોને પાણીની કોઈ અછત ન રહે.





