મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરાયું
ભારતભરમાં ગૌવંશની હત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્ર તેમજ વિશ્વ સ્તરે સન્માન અપાવવા માટે સાધુ-સંતો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે ઊંઝા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગૌહત્યાના કલંકને દૂર કરવા માટે હિન્દુઓના સર્વોચ્ચ ધર્મગુરુ પૂજ્ય પુરી શંકરાચાર્ય મહારાજે આજે પણ છત્ર, છડી અને સિંહાસનનો ત્યાગ રાખ્યો છે. જ્યાં સુધી દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી તેમનો આ સંકલ્પ ચાલુ છે જે ગૌરક્ષા પ્રત્યેની તેમની ગંભીરતા દર્શાવે છે.
આ અભિયાન હેઠળ સંતો અને ગૌભક્તોએ માંગણી કરી છે કે ભારત સરકારે ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો લાવી તેના પર કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે જ ગૌમાતાને વિશ્વ માતા તરીકેનું સન્માન અને પદવી આપવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું છે. ભારતના વિવિધ પ્રદેશોમાં સંતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનને જનસમર્થન મળી રહ્યું છે. ઊંઝામાં પણ મોટી સંખ્યામાં લોકો આ મુહિમમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં ઊંઝા ધારાસભ્ય, એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, શ્રી સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટના તેજપાલભાઈ પટવા સહિત મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





