બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ અને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પક્ષના જ આંતરિક વિખવાદ અને 'ભીતરઘાત' પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
વિજેતા ઉમેદવારોના સન્માન બાદ પોતાના સંબોધનમાં ગુલાબસિંહ રાજપૂતે હારના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ઇતિહાસમાં કોંગ્રેસને હરાવવાનું કામ હંમેશા કોંગ્રેસે જ કર્યું છે. પહેલા નેતાઓ ટિકિટ મેળવવા માટે જોરદાર લોબિંગ કરે છે, પણ જો ટિકિટ ન મળે તો પક્ષના જ ઉમેદવારને હરાવવાનું કામ શરૂ કરી દે છે. કોંગ્રેસને બહારથી આવીને કોઈ હરાવી શકતું નથી, પણ આંતરિક ખેંચતાણને લીધે જ પક્ષને નુકસાન સહન કરવું પડે છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત ચૂંટણીઓમાં હાર પાછળ લગ્નગાળો પણ એક કારણ રહ્યો હતો. લગ્નની મોસમ હોવાને કારણે કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પ્રત્યે વફાદાર રહેવાને બદલે હરાવવાની ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા ડેલિગેટ્સનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રમુખના આ નિવેદન બાદ પક્ષમાં આંતરિક શિસ્ત અને એકતા જાળવવી એ આગામી સમયમાં મોટો પડકાર બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.





