મહેસાણા જિલ્લામાં જળ પ્રદૂષણનો મુદ્દો હવે અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગયો છે. બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી રૂપેણ નદીમાં રાસાયણિક અને ઝેરી પાણી ભળવાને કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ જીવલેણ અને દૂષિત પાણીના પગલે નદીમાં વસવાટ કરતી હજારો માછલીઓ તરફડીને મૃત્યુ પામી છે, અને નદીના કાંઠે આ મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનો અને સરપંચ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કરશનપુરા આસપાસ આવેલી કેટલીક ફાર્મા અને અન્ય ઔદ્યોગિક કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારના ડર વિના ખારી અને રૂપેણ નદીમાં કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ ઝેરી રસાયણોને કારણે નદીનું શુદ્ધ પાણી સંપૂર્ણપણે પ્રદૂષિત બની ગયું છે. આ ઝેરીલા પાણી અને તેમાંથી આવતી તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના ગામોના લોકોમાં ચામડીના ગંભીર રોગોએ માથું ઊંચક્યું છે. આ ઉપરાંત, પશુપાલકો પણ ભારે ચિંતામાં ગરકાવ થયા છે. તેમના ઢોર-ઢાંખર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આ નદી જ હોવાથી, અબોલ પશુઓને આ ઝેરીલું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે, જેનાથી તેમના જીવ પર મોટું સંકટ ઊભું થયું છે.
નદીની આ દયનીય સ્થિતિ અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેલવાડા (ખાંટ) ગામના સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા બહુચરાજીના તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક ન્યાયની માંગ સાથે કરવામાં આવેલી આ ફરિયાદ બાદ, હવે સૌની નજર વહીવટીતંત્ર પર છે કે તે પ્રદૂષણ ફેલાવનારા આ બેફામ તત્વો અને કંપનીઓ સામે ક્યારે અને કેવા કડક પગલાં લે છે.





