વેપારી મિત્રોએ વિશ્વાસ રાખીને ઘરની ચાવી આપી, ફોન સ્વિચ ઓફ કરી ઇસમ ફરાર
ઊંઝામાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલા શ્રીનાથજી ફ્લેટમાં રહીને જીરા-વરિયાળીનો વેપાર કરતા બે મિત્રો સાથે વિશ્વાસઘાત થયો છે. તેઓને ત્યાં સવાર-સાંજ ટિફિન આપવાનું કામ કરતા પ્રકાશભાઈ કાનજીભાઈ જોષી નામના શખ્સે ફ્લેટની ચાવીનો દુરુપયોગ કરીને બેગમાંથી ₹1,90,000 રોકડા ચોરી લીધા હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઊંઝામાં શ્રીનાથજી ફ્લેટના રૂમ નંબર 301માં ભાડે રહેતા અનિલકુમારસિંગ રાજપુતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ તેમના મિત્ર મુકેશભાઈ જૈન સાથે મળીને જીરા-વરિયાળીનો વેપાર કરે છે. બંને મિત્રો વેપાર અર્થે ઓફિસે રહેતા હોવાથી જમવા માટે તેમણે પ્રકાશ જોષી (રહે. પાલનપુર, હાલ રહે. શ્રીનાથજી ફ્લેટ, રૂમ નં. 402) પાસે ટિફિન બંધાવ્યું હતું. જો ક્યારેક વેપારી મિત્રો ઘરે મોડા આવે તો પ્રકાશ ચાવીથી ઘર ખોલીને ટિફિન અંદર મૂકી જતો હતો. આ વિશ્વાસ જ વેપારીઓને ભારે પડ્યો છે. ગત 23 જૂનના રોજ વેપારી મિત્રો બિઝનેસના કલેક્શનના અને બેંકમાંથી લાવેલા મળી કુલ ₹1,90,000 રોકડા ઘરે લાવ્યા હતા અને બેગમાં મૂક્યા હતા. 24 જૂને તેઓ ઓફિસે ગયા બાદ આરોપી પ્રકાશે પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલીને આ રકમની ચોરી કરી લીધી હતી.
જ્યારે 26 જૂનની સવારે વેપારી અનિલકુમાર બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે બેગ તપાસી, ત્યારે તેમાંથી ₹1.90 લાખ ગાયબ હતા. આસપાસ તપાસ કરવા છતાં રૂપિયા ન મળતાં તેમણે અન્ય એક પરિચિત સાથે મળીને પ્રકાશ જોષીની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં જ્યારે પ્રકાશને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, મારે પૈસાની જરૂર હોવાથી મેં કોઈને કહ્યા વગર લીધા છે, હું થોડા દિવસમાં પાછા આપી દઈશ વેપારીઓ વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ ત્યારબાદ આરોપી પ્રકાશે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને ફ્લેટને તાળું મારીને ફરાર થઈ ગયો હતો આખરે વિશ્વાસઘાત અને ચોરીનો ભોગ બનેલા વેપારી અનિલકુમારસિંગે ઊંઝા પોલીસ મથકે પ્રકાશ કાનજીભાઈ જોષી વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે આ મામલે ગુનો નોંધીને મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અનુબેન ખરસાણને તપાસ સોંપી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





