શાળામાં બાલવાટિકાથી લઇ ધો.8 ના વિદ્યાર્થીઓના લોહીના નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવ્યા
પાલનપુર તાલુકાના ભાવિસણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ક્યા ગ્રૂપનું લોહી ધરાવે છે ? તેની તપાસ કરવા શાળા અને એસએમસી દ્વારા બ્લડ ગ્રુપ ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળામાં બાલ વાટિકાથી ધો.8 માં અભ્યાસ કરતા તમામ બાળકોના બ્લડનો પેથોલોજીસ્ટ દ્વારા વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ભાવિસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવાની સાથે બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને બહાર લાવવા વિવિધ રચનાત્મક કાર્યો અને પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતે કયા ગ્રૂપનું લોહી ધરાવે છે ? તે અંગે તેઓ અને તેમના પરિવારજનો માહિતગાર બને તેવા ઉદ્દેશ સાથે શાળાના ઉત્સાહી આચાર્ય દર્શનાબેન જોષી દ્વારા શનિવારે શાળામાં બાળકોના બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ચડોતરની આત્મીય લેબોરેટરી તજજ્ઞો દ્વારા બાલ વાટિકાથી લઇ ધો.8 સુધીના તમામ બાળકોના બ્લડના સેમ્પલ લઇ બ્લડ ગ્રુપની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઈ ચૌધરી, એસએમસીના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષકોના બાળકોના બ્લડ ગ્રુપ ચકાસણી કરવાના અભિગમને બિરદાવ્યો હતો કાર્યક્રમના અંતે કામ બાળકોને નાસ્તો મધ્યાહન ભોજન સંચાલક ચંદ્રિકાબેન પ્રવિણભાઈ શ્રીમાળી તરફથી આપવામાં આવેલ હતો.





