ટોળાનો ભોગ બને તે પહેલાં ફોરેસ્ટ વિભાગ રીંછનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડે તેવી માંગ
રીંછ અભ્યારણ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા બાદ હવે કાંકરેજ તાલુકાના રાનેર ગામે પણ રાતના સુમારે રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આ રીંછ લોકોના ટોળાનો ભોગ બને તે પહેલાં વન વિભાગ તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ અભ્યારણમાં છોડે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ -ઓગડ તાલુકામાં ગૌચર, ખરાબા, તળાવો, વોકળા, વરસાદી પાણીના વહેણની સરકારી જમીનો પર છેલ્લા કેટલાક વર્ષોથી અસામાજિક તત્વોએ કબજો જમાવી કૃષિ વાવેતર અને રહેણાંક મકાનો બિનકાયદેસર ઊભા કરી દેતા રાની જંગલી વગડાના અબોલ જીવો નાશ પામી રહયા છે. અથવા તો ખોરાક,પાણી અને આશરાની શોધમાં ક્યારેક રહેણાંક વિસ્તારમાં ઘુસી આવતાં લોકો હોહા મચાવી હાકોટા પડકારા કરતાં આ ગભરાયેલ એકલો પડી ગયેલ અબોલ જીવ ક્યાંક ઝનૂની બને છે અથવા અકાળે મોતને ભેટે છે. જેની સામે આ જીવોના રક્ષણ માટે ઉભી કરવામાં આવેલી વન વિભાગની ટીમ લાચાર બની મોટાભાગે તમાશો જોવે છે ત્યારે જિલ્લાના બનાસ નદી પટ વિસ્તારમાં રેત ખનન માફિયાઓએ એવો કબજો જમાવ્યો છે કે રીંછ ,નીલગાય, રોઝડા,શિયાળવા, ગીધ,તેતર,સસલા જેવા અબોલ જીવો તો નાશ જ પામ્યાં છે.જ્યારે કેટલાક લપાતા છુપાતા બચ્યાં છે તે આજના ડી. જે. ના શોરબકોરથી ગભરાઈ સલામત સ્થળ શોધે છે પણ ત્યાં માણસોની નજરે પડતા ઊહાપોહ થાય છે.
કાંકરેજ તાલુકાના બનાસ નદી પટ વિસ્તારમાં આવેલા રાનેરના ચરિયાણ સીમ વિસ્તારમાં રાત્રિના સમયે એક રીંછ દેખાયું હતું.આ ઘટનાને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી ૧૦૦ થી ૨૦૦ લોકોનું ટોળું હાથમાં બતી સાથે ધોકા -લાકડીઓ લઈને પાછળ પડતા રીંછ બાજરીના ખેતરમાં ઘુસી ગયું હતું.જાણવા મળતી માહિતી મુજબ, આ રીંછ મધરાત દરમિયાન ખેતરોમાં ફરતું જોવા મળ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો મોબાઈલમાં વીડિયો બનાવી વાયરલ પણ કર્યો હતો.જે બાદ રાતના અંધારામાં રીંછ ખેતરોમાં ઘુસી અચાનક ગાયબ થઈ ગયું હતું.
રીંછ ગ્રામજનોની નજરે પડતાં જ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ છે ત્યારે ફોરેસ્ટ વિભાગ સત્વરે આ વિસ્તારમાં ભૂલા પડેલા આ રીંછને પાંજરે પુરી સલામત સ્થળે છોડી મુકે. જેથી એક અબોલ જીવ બચી જાય અને લોકોના ભોગ બનતા બીજા અબોલ જીવો પણ સલામત રહે. સરકાર અને સરકારી તંત્ર ગ્રામ પંચાયત નગર પાલિકા વિસ્તારમાં ગૌચર ખરાબા તળાવો વોકળા નદી પટ વરસાદી પાણીના વહેણની જમીનો પર બિનકાયદેસર ઊભા કરવામાં આવેલ દબાણો દૂર કરી ખુલ્લા કરાવશે કે પછી હોતા હે ચલતા હે ??? તેવો લોકો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.





