પાટણ જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ

ફાયર વિભાગે માત્ર 15 મિનિટમાં આગ બુઝાવી અંદર ફસાયેલા 5 વ્યક્તિઓને બહાર કાઢયા
પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રિલનું મંગળવારે બપોરે આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આગ લાગવાની અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરીની તૈયારીઓ ચકાસવા માટે આ મોકડ્રિલ યોજાઈ હતી. ICU અને NICU જેવી સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું હતું.
પાટણ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે. મોદીએ માહિતી આપી હતી કે, બપોરે 3:05 વાગ્યે હોસ્પિટલના ICU રૂમમાં આગ લાગી હોવાનો અને કેટલાક લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું દર્શાવાયું હતું. કોલ મળતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમાડાને કારણે કેટલાક દર્દીઓ અને વોર્ડબોય બેહોશ થઈને ફસાયા હતા.આ સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ મિની ફાયર ટેન્કર (2500 લીટર ક્ષમતાવાળું) અને ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમમાં સુરેશ ઠાકોર, કૃણાલ ચૌધરી અને વિકાસ દેસાઈ સહિતના ફાયરમેનો અને ટ્રેનિંગ જવાનો સામેલ હતા. ફાયરમેનોએ ઝડપી કામગીરી કરીને ઓછા સમયમાં આગ બુઝાવી દીધી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ ધર્યું હતું.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ 5 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થતો હતો. ત્રણ વ્યક્તિઓને સ્ટ્રેચર દ્વારા, એક વ્યક્તિને ફાયરમેને લિફ્ટિંગ કરીને અને રૂમમાં ફસાયેલા અન્ય એક વ્યક્તિને 'ચેયર નોટ' (દોરડાની ખાસ પદ્ધતિ) દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.તમામ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે. મોદીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કામગીરી 3:05 વાગ્યે શરૂ થઈ અને 3:20 વાગ્યે સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી. આ ઘટનાને અંતે મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. મોકડ્રિલ સમયે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,ઉપપ્રમુખ હિનાબેન શાહ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
22 કલાક પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
22 કલાક પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
22 કલાક પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
2 દિવસ પહેલા
