રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા6 સપ્ટેમ્બર, 2025| Super Admin

વરસાદી માહોલ વચ્ચે “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

વરસાદી માહોલ વચ્ચે “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારથી દાંતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે. વરસાદી માહોલ વચ્ચે પણ “બોલ માડી અંબે, જય જય અંબે”ના ગુંજતા નાદ સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે. પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે, જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે. મેળા દરમિયાન તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો તથા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા, તેમજ સુરક્ષા માટે પોલીસ વિભાગની ચુસ્ત વ્યવસ્થા પણ કાર્યરત છે. વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ભોજન, આરામ અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વરસાદી વાતાવરણ વચ્ચે અંબાજી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો ઉમળકો અવિરત જોવા મળી રહ્યો છે. પૂજા-અર્ચના, આરતી તેમજ ભજન-કીર્તનના સ્વરોથી સમગ્ર યાત્રાધામ ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામમાં માઇ ભક્તોની ઉમટતી ભીડ આસ્થા, શક્તિ અને ભક્તિનો જીવંત પરિચય આપી રહી છે.

સંબંધિત સમાચાર