ગબ્બર ખાતે ઘીના લેવાયેલ નમૂનામાં ખામી જણાતા 11 લાખનો દંડ
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડનાર માનવ મહેરામણને ધ્યાનમાં રાખીને તંત્ર અત્યારથી જ સતર્ક અને સજ્જ થઈ ગયું છે. જેના ભાગરૂપે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા એન.એ.એસ.વી.આઈ.ઇન્ડિયા અને નેસ્લે ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે ખાસ વિનામૂલ્યે ફૂડ સેફ્ટી તાલીમ અપાઈ હતી.જેમાં ધામના 103 જેટલા ખાદ્ય પદાર્થોના નાના વેપારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક ખાણીપીણીના વેપારીઓમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા તેમજ ગ્રાહકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. તાલીમ દરમિયાન વેપારીઓને ખાદ્ય સામગ્રીની યોગ્ય અને સ્વચ્છ જાળવણી, પૌષ્ટિકતા, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ વ્યવસાય દરમિયાન ખોરાકને સુરક્ષિત રાખવાની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વેપારીઓને સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થાય તે માટે એપ્રન, કેપ/ટોપી, હેન્ડ ગ્લોવ્ઝ, તોલિયું, ડસ્ટર, મોપ અને સાબુ સહિતની હાઇજીન કિટ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ કરનાર તમામ 103 વેપારીઓને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે.
ફૂડ સેફ્ટી વિભાગના જિલ્લા અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે ખાણીપીણીના સ્ટોલોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગબ્બર ખાતે હાથ ધરાયેલી તપાસ દરમિયાન ઘીના લેવામાં આવેલા નમૂનામાં ખામી જણાતા સંબંધિત વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ. 11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી મેળા દરમિયાન અંબાજીમાં ફૂડ સેફ્ટી વિભાગની ચાર ટીમો સતત કાર્યરત રહેશે. યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક શાકાહારી ભોજન મળી રહે તેમજ ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. અંબાજીના સરપંચ કલ્પનાબેન દવેએ પણ વેપારીઓને મેળા દરમિયાન અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરી હતી. વધુમાં તેમણે ખાણીપીણીના વેપારીઓને સ્વચ્છતા જાળવવા તેમજ અંબાજીમાં આવતા યાત્રિકોને શુદ્ધ, સાત્વિક અને શાકાહારી ખોરાક મળી રહે તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી.
તાલીમમાં ભાગ લેનારા વેપારીઓએ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને હાઇજીન કિટનો યોગ્ય ઉપયોગ કરવાની ખાતરી આપી હતી. અંબાજીમાં આવતા યાત્રિકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ શાકાહારી ભોજન મળી રહે તે માટે જરૂરી તકેદારી રાખવાની સાથે કોઈપણ પ્રકારનો વાસી અથવા પડી રહેલો ખોરાક યાત્રિકોને પીરસવામાં નહીં આવે તેવી ખાતરી પણ વેપારીઓ દ્વારા આપવામાં આવી હતી. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો યાત્રાળુઓ ઉમટી પડવાના છે. ત્યારે યાત્રિકો તેમજ સ્થાનિક નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સુરક્ષિત આહાર મળી રહે તે દિશામાં યોજાયેલ આ તાલીમ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.





