રસાયણમુક્ત ખેતી દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણમાં સાબરકાંઠાના ખેડૂતો સહભાગી બને: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ
રાસાયણિક ખેતીની ગંભીર અસરોથી બચવા માટે પૂર્વજોની પરંપરાગત ખેતી તરફ પુનઃ વળવું જરૂરી: રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનકાળના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વિશેષ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ભોલેશ્વર સ્થિત શ્રીમદ્ જેશીંગબાપા વાનપ્રસ્થ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “પ્રાકૃતિક ખેતી – આત્મનિર્ભર ખેતી”ના સંકલ્પને સાકાર કરવાનો હતો. આ પરિસંવાદમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તેનાથી થતા આર્થિક તથા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ૧૨ વર્ષના નેતૃત્વમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ભારત એક કૃષિપ્રધાન દેશ હોવાથી જમીન અને માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે રસાયણમુક્ત ખેતી તરફ વળવું હવે અનિવાર્ય બન્યું છે. ઝીરો બજેટ ખેતી પદ્ધતિ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની સાથે તંદુરસ્ત સમાજના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે. તેમણે આ અભિયાનને એક જનઆંદોલન ગણાવી સાબરકાંઠાના ખેડૂતોને આ મહા-અભિયાનમાં અગ્રેસર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ પોતાના ઉદ્બોધનમાં ખેડૂતોને પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન માટે દેશી ગાય આધારિત ખેતી અપનાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વને કારણે જ આજે વિશ્વભરમાં મિલેટ્સ અને સરગવાના મહત્વને સ્વીકૃતિ મળી છે. રાસાયણિક ખાતરોનો આંધળો વપરાશ અટકાવીને ખેડૂતો પોતાના ઘરઆંગણે જ પ્રાકૃતિક પદ્ધતિથી અનાજ અને શાકભાજી પકવે તે સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ઉત્પાદન વધારવાનો માર્ગ નથી, પરંતુ ધરતીમાતાના સંવર્ધનનો પવિત્ર માર્ગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૃષિ વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.





