ગ્રામજનોને તેમના સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા મથકો સુધી લાંબા ન થવું પડે તેવા ઉમદા હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં પહેલીવાર 'જિલ્લા પંચાયત આપને દ્વાર' નામની એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં યાત્રાધામ બહુચરાજીના અન્નપૂર્ણા ભવન ખાતેથી આ નવતર અભિગમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી વહીવટીતંત્ર સીધું જ લોકોના આંગણે પહોંચ્યું છે, જ્યાં નાગરિકોને પોતાના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓ અધિકારીઓ સમક્ષ ખુલ્લા મને રજૂ કરવાની એક ઉત્તમ તક મળી છે.
બહુચરાજી ખાતે યોજાયેલા આ લોકદરબારમાં આસપાસના ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ રસ્તા, પીવાનું પાણી, બોરવેલ, પંચાયતમાં તલાટીની ગેરહાજરી અને નવા પંચાયત ભવનના નિર્માણ જેવી અનેક પ્રાથમિક સમસ્યાઓ વર્ણવી હતી. ખાસ કરીને શંખલપુર-કાલરી બાયપાસનું અધૂરું કામ, ડોડીવાડાથી ખાંભેલ ચોકડી સુધીના રસ્તાનું વિસ્તરણ, રણેલામાં કાયમી તલાટીની નિમણૂક અને રેલવે અંડરપાસના કારણે બંધ થયેલી એસટી બસની સુવિધા ફરી શરૂ કરવા અંગે ગ્રામજનોએ ભારપૂર્વક માંગ કરી હતી. આ તમામ રજૂઆતોને પ્રમુખશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સવાલો કર્યા હતા અને જનતાને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.
છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓનો લાભ પહોંચે અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક તાલુકામાં ચીટનીશ દ્વારા એક ખાસ રજિસ્ટર (મસ્ટર) તૈયાર કરવામાં આવશે, જેમાં નોંધાયેલા પ્રશ્નોનું ફોલોઅપ લેવાશે અને દર મહિને તેની સઘન સમીક્ષા પણ કરવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકના પ્રશ્નોને ઉચ્ચ કક્ષાએ પહોંચાડીને તેનો સત્વરે નિવેડો લાવવાના પ્રયાસો હાથ ધરાશે. કાર્યક્રમના પ્રારંભે ટીડીઓ જે.જે. ચૌધરીએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સુખાજી ઠાકોર, ડીડીઓ અંચુ વિલ્સન અને પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને સરકારી યોજનાઓ અંતર્ગત આયુષ્માન કાર્ડ તેમજ આવક અને જાતિના પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.





